Protest in Gandhinagar: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે. જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોંધનીય છે કે, આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનમાં જોડાવવા માટે રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે. આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી લીધી છે. છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પુરૂ કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. આજે ગાંધીનગર ખાતે રેલી કાઢી આંદોલનનું રણશિંગૂ ફૂંકશે.
અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઇ
મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અંગત રસ દાખવી ન્યાય અપાવે
ઘણાં ઉમેદવાર મિત્રોને વય મર્યાદાનો પ્રશ્ન છે તેમજ પારિવારિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ ન હોઈ એટલે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઉમેદવારો રીપીટ થતાં અટકે અને વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અંગત રસ દાખવી શિક્ષણ વિભાગ સંબંધિત અધિકારીશ્રીઓને 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા તેમજ ચાલુ ભરતીમાં શક્ય બને એટલો જગ્યા વધારા બાબતે સુચન કરી અમો ઉમેદવારોને ન્યાય અપાવે.
શું સરકારના નિવેદનોની કોઈ ગરીમા નથી?
16મી જાન્યુઆરી 2025ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ‘24,700 ની અન્ય માધ્યમ સહિત ધોરણ 1થી 12ની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણુક પત્રો એનાયત કરીશું.’ આ નિવેદનને આજે 40 દિવસ પૂર્ણ થયા છતાં પણ ભરતીના નામે મીંડું જ છે. શું સરકારના નિવેદનોની કોઈ ગરીમા નથી?
સમયસર ન્યાય ન મળે એ સૌથી મોટો અન્યાય છે. ટેટ-ટાટના ઉમેદવારો આવા અન્યાયનો ભોગ બન્યા છીએ. અત્યાર સુધી એટલી રજૂઆતો કરવામાં આવી છે કે એક આખું પુસ્તક અરજીઓથી ભરાય તેમ છે. ઉમેદવારો શિક્ષક ભરતી માટે શક્ય તમામ પ્રયત્નો કરી ચુક્યા છીએ. તેમ છતાં હજી સુધી કાયમી શિક્ષકોની બાબતે કોઈ નક્કર અને સમય સારણી બદ્ધ પગલાં ભરવામાં આવ્યા નથી.
શું છે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ
•શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
•ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.
•અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
•ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
•ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.
• RTI મુજબ ધોરણ 1થી 5માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000ની ભરતી કેમ?